હિન્દ ન્યૂઝ, વડોદરા,
વડોદરા શહેર નજીક આવેલા દુમાડ અને દેણા ગામને જોડતા રોડ પર વ્યાસેશ્વર મહાદેવ પાસેથી બે દિવસ અગાઉ વડોદરાના દાંડીયાબજારના મૂળ વતની અને હાલમાં કિશનવાડી વિસ્તારમાં રહેતા ધર્મેશ ઉર્ફે બટકો સત્યનારાયણ કહારની લાશની હત્યાનો ભેદ ઉકેલાયો છે. લોકડાઉન ટાણે વડોદરા સેન્ટ્રલ જેલથી વારસીયા સુધી ખુલ્લી ઓડીમાં રેલી કાઢનાર સૂરજ ઉર્ફે ચુઇની ગેંગના ત્રણ માથાભારે યુવાનોએ અંગત અદાવતમાં હત્યા કરી હોવાનું બહાર આવતાં પોલીસે ત્રણેવ હત્યારાઓની ધરપકડ કરી છે. ઝડપાયેલાઓમાં વડોદરામાં કિશનવાડી વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતા અજય ઉર્ફે ભુરીયો ભુપેન્દ્રભાઇ તડવી, વારસીયા વિસ્તારમાં હરીહર એપાર્ટમેન્ટમાં રહેતા જીગ્નેશ ઉર્ફે કારો ભુરાજીભાઇ મારવાડી તથા વારસીયાના પટેલ પાર્ક પાસે ઝુપટપટ્ટીમાં રહેતા કરણ ઉર્ફે છોટે સીવાસીંગ સરદારનો સમાવેશ થાય છે. આ ત્રણેય ની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવેલી વિગતો મુજબ આજથી બે મહિના અગાઉ કિશનવાડી ગધેડા માર્કેટ પાસે આરો પ્લાંટ પાસે ધર્મેશ ઉર્ફે બટકો તેમજ તેના મિત્ર રાજ ઉર્ફે કારોએ હુમલાખોર અજય ઉર્ફે ભુરા તડવી સાથે ઝઘડો કરીને ચાકુથી હુમલો કર્યો હતો. જે અંગે બાપોદ પોલીસ મથકમાં ફરીયાદ પણ થઇ હતી. જેમાં જે તે સમયે ધર્મેશ ઉર્ફે બટકો અને તેના સાથીદાર રાજની ધરપકડ થઇ હતી. જેમાંથી તેનો જામીન પર છુટકારો થયો હતો. આ ઘટનાની અદાવત રાખીને અજય તડવી, જીગ્નેશ મારવાડી તથા કરણ સરદારે ધર્મેશને મારી નાખવા માટે આયોજન કરી રાખ્યુ હતુ. આ ત્રણેય હુમલાખોરો ગત તારીખ ૧૩મીના રોજ રાત્રે ધર્મેશ કિશનવાડી ગધેડા માર્કેટ પાસે મળી ગયો હતો, ત્યાંથી તેને જમવાનું બહાનું બનાવીને હાઇવે તરફ લઇ ગયા હતા. વ્યાસેશ્વર મંદીર નજીક આયોજન પૂર્વક તેની હત્યા કરીને લાશને પાણીના ખાબોચીમાં ફંગોળી દીધી હતી.
રીપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા